ભારત સામે હાર બાદ જોસ બટલર નિરાશ થયો, ટીમ વિશે શું કહ્યુ જાણો

By: nationgujarat
29 Oct, 2023

ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું.  આ જીત થી  રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ સતત છઠ્ઠી જીત નોંધાવી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની સફર વિશ્વકપમાં  લગભગ પૂરી થઈ ગઈ છે.  ભારતીય ટીમ સામેની હાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ઘણો નિરાશ જોવા મળ્યો હતો. જોસ બટલરે કહ્યું કે અમે ખૂબ જ નિરાશ છીએ. અમારી પાસે જીતવા માટે 230 રનનો ટાર્ગેટ હતો, એક સમયે અમે સારી સ્થિતિમાં હતા. પરંતુ અમે જીતી શક્યા નહીં, અમારી ટીમે ફરીથી જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું.

‘અમારા ખેલાડીઓ દબાણને સંભાળી શક્યા નહીં, અમે ભાગીદારી કરવામાં નિષ્ફળ ગયા’

જોસ બટલરે કહ્યું કે અમને ખાતરી નહોતી કે મેદાન પર ઝાકળ પડશે કે નહીં? જો કે, અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, વિકેટો પડતી રહી, અમે ટીમ ઈન્ડિયાને 229 રન સુધી રોકી દીધી. તેણે કહ્યું કે અમારા ખેલાડીઓ દબાણ સહન ન કરી શક્યા, અમે ભાગીદારી બનાવવામાં નિષ્ફળ ગયા. જોકે અમારા પર સ્કોરબોર્ડનું કોઈ દબાણ ન હતું, પરંતુ અમારા બેટ્સમેનો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. અમારી ટીમ ભારતના બોલીંગ આક્રમણ સામે ટકી શકી નથી. અમારું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.

આજનો દિવસ અમારો હતો, પરંતુ અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહીં – જોસ બટલર

જોસ બટલરે કહ્યું કે અમે પાવરપ્લેમાં સારી શરૂઆત કરી હતી. જોકે, તે સમયે પિચમાં અસમાન ઉછાળો હતો. અમારા બોલરોએ સારી બોલિંગ કરી, અમારા ફિલ્ડરોએ સારી ફિલ્ડિંગ કરી. તેણે કહ્યું કે આજનો દિવસ અમારો હતો, પરંતુ અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ખાસ કરીને, અમારા બેટ્સમેનોએ નિરાશ કર્યા… તે જ સમયે, આ જીત પછી, ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. ભારતના 6 મેચમાં 12 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમના 6 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં તળિયે એટલે કે દસમા ક્રમે છે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે.


Related Posts

Load more